અધ્યાહાર – શું છે આ અધ્યાહાર? કેટલાંક લોકો માને છે કે અધ્યાહાર એટલે અડધો આહાર! વાચકને અડધો જ આહાર આપવાનો! પણ શું ખરેખર આને જ અધ્યાહાર કહેવાય? વિવિધ લેખકો અને તજજ્ઞો પોતપોતાની રીતે આનો અર્થ કાઢતાં હશે. જો કે હું કોઈ તજજ્ઞ નથી કે અહીં સંપૂર્ણપણે સાચો જ હોવાનો મારો કોઈ દાવો પણ નથી. પણ વાર્તાઓમાં જોવા મળતાં અધ્યાહાર વિશે મારી પોતાની જે કંઈ પણ સમજ છે એ અહીં વિગતે રજૂ કરવા માંગુ છું.
અધ્યાહાર, કે જેને અંગ્રેજીમાં ઇલીપ્સીસ (ellipsis) કહેવામાં આવે છે એ કોઈ પણ વાર્તાનું એક મહત્વનું અંગ છે. ખાસ કરીને વાર્તા જેટલી ટૂંકી એટલું અધ્યાહારનું મહત્વ વધારે. આ કારણે જ ટૂંકી વાર્તાઓ, લઘુકથાઓ, માઇક્રોફિક્શન જેવાં વાર્તાપ્રકારોમાં અધ્યાહારનું મહત્વ અનેકગણું વધી જાય છે.