ચારધામ યાત્રાએથી આવીને મહંતજી સીધા જ ગોવિંદના કમરામાં ગયા ત્યારે સાંજ ઢળવા આવી હતી. ગોવિંદ ત્યાં હતો નહીં પણ કમરામાં કોઈ અલૌકિક વાતાવરણ રચાયું હતું. દિવ્ય સુગંધીથી કમરો મહેંક મહેંક થઈ રહ્યો હતો. ગોવિંદ રોજ સવારે કમરાના ઉંબર પર પારિજાતકના ફુલોનો સાથિયો કરતો, જે સાંજ પડવા આવી તોયે એકદમ તાજો જ લાગતો હતો. અહો આશ્ચર્યમ્! “આ કમરામાં કશુંક બન્યું છે.” મહંતજી બબડ્યા. કશીક દિવ્ય અનુભૂતિ એમને થઈ રહી.