‘શબ્દાવકાશ’ ગ્રુપમાં સાથે લખતા મિત્ર નિમિષ વોરાએ લગભગ અઢી વર્ષ પહેલા કહ્યું હતું કે, ‘જાહ્નવીબહેન તમે ‘સર્જન’ વોટ્સએપ ગ્રુપમાં જોડાવ તમને મજા આવશે. અક્ષરનાદવાળા જીજ્ઞેશભાઈ અધ્યારુનો નંબર આપું છું. મેસેજ કરો તમને એડ કરશે.’ મને થયું કે ક્યાં એક વધુ જંજાળમાં ફસાઉં. અત્યાર સુધી કથાકડી અને શબ્દાવકાશ ગ્રુપમાં લખ્યું એ વંચાયું પરંતુ એથી કંઈ લેખક નથી બની જતા. હું એક નખશીખ વાચક છું અને એજ બની રહેવા માંગું છું.
પણ પછી, નવરા બેસવું ઓછુ ગમે, ઘર અને જવાબદારીઓમાં અટવાયેલી મને, એક દિવસ થયું કે લાવને જોઉં તો ખરી, કેવું ગ્રુપ છે! જીજ્ઞેશભાઈને મેસેજ તો કરવા દે, મારે ક્યાં લેખક થવું છે. ગ્રુપમાં એડ કરશે તો કંઈક નવું જાણવા શીખવા મળશે એ હેતુથી મેસેજ કર્યો. અને એમણે એડ કરી ગ્રુપમાં.