અસ્થિકુંભ લઈ નિરવ ગંગાઘાટ પર ઊભો રહ્યો. એક મહારાજ અસ્થિવિસર્જનની વિધિ માટે પાસે આવ્યા. “મરનેવાલે સે સંબંધ? મરનેવાલે કા નામ? ગોત્ર? શહર?”
નિરવના મોઢે રેવતીનું નામ અને ગામ સાંભળતાં જ મહારાજના કાન ચમક્યા. નિરવમાં પોતાની જાતને શોધવા લાગ્યાં.
“આમ મને શું જુઓ છો?” નિરવના પ્રશ્નથી મહારાજની તંદ્રા તૂટી.
ગામની, રેવતીની અને ગંગામાં દરરોજ ડૂબકી લગાવે તો પણ ના ધોવાય એવા પાપની યાદથી મહરાજની આંખો સજળ બની.
“સુખી રહો.” નિરવની પીઠ પર હાથ પસવારતા મહારાજ ચાલતા થયા.