માઈક્રોફિક્શનને એક ટુચકો, એક જોક ગણતા, એ રીતે લખતા અનેક લોકો વિશે શું કહેવું? મને નથી લાગતું કે મારે કે હાર્દિકભાઈએ કે નીલમદીદીએ કે સર્જનમાંથી કોઈએ પણ હવે સર્જન સિવાય માઈક્રોફિક્શન લખતા લોકો વિશે કંઈ પણ બોલવું જોઈએ.. સાહિત્યના કયા સ્વરૂપ વિશે આવું નથી? માઈક્રોફિક્શનને શબ્દોની ચાલાકી ગણતા કે 'હું માઈક્રોફિક્શનને સાહિત્યનુ સ્વરૂપ ગણતો / ગણતી નથી' કહેનારા મિત્રોને - વડીલોને પણ અમારે કંઈ કહેવું જોઈએ નહીં, કારણકે સાહિત્યના કયા સ્વરૂપ વિશે આવું બોલાયું નથી? દલીલો કોઈ હેતુ સારવાની નથી કારણકે બધા પોતપોતાના વિચારોની લાકડી લઈને જ આવે છે, અને એ લાકડીઓ વીંઝાય એટલે કોઈક તો ઘાયલ થાય જ.. ગાંધીજીની જેમ પોતાની લાકડીનો ઉપયોગ કરનારા મહાનુભાવો પણ છે, પણ આ એમની વાત નથી. પોતાના વિચારોની સ્પષ્ટતા અને મંતવ્યની સજ્જતા સાથે જે ચર્ચા કરવા આવે એનું એક વિદ્યાર્થી બનીને કાયમ સ્વાગત કર્યું છે અને કરીશું જ. પણ સાહિત્યનો અંતિમ હેતુ કોઈકના મનને શાતા આપવાનો હોય, કોઈકના જીવનમાં હકારાત્મકતાનો ઉજાસ ફેલાવવનઓ હોય, કોઈના મનને લોહીલુહાણ કરવાનો કદાપિ ન હોય.