તરસ – ડૉ. નિલય પંડ્યા
સરકારી હૉસ્પિટલમાં ખળભળાટ મચી ગયો હતો. આજે રાત્રે ફરી પૅથોલૉજી વિભાગમાંથી લોહીનાં સત્તર સૅમ્પલ ગાયબ થયા હતા. આજે સતત ત્રીજો દિવસ હતો કે જ્યારે તપાસ માટે આવેલાં લોહીનાં સૅમ્પલ સવાર થતાં ગાયબ થયા હતાં. અને કમનસીબી એ હતી કે છેલ્લાં એક મહિનાથી પૅથોલૉજી વિભાગમાં મારી જ નાઇટડ્યુટી ચાલતી હતી.
જો કે મારાં પર કોઇ આરોપો ન હતાં.આખીયે હૉસ્પિટલમાં મારું ખૂબ જ માન હતું.
તે દિવસે હૉસ્પિટલમાં ખૂબ જ પૉલીસ તપાસ ચાલી – પણ ન કોઇ સુરાગ કે ન કોઇ કડી. સાંજ પડવા છતાં ચીફ ઈન્સ્પૅક્ટર શર્માને કંઈ તાળો મળતો ન હતો. અંતે એવું નક્કી થયું કે આજે આખી રાત શર્મા પોતે મારી સાથે લૅબોરૅટરીમાં હાજર રહેશે.
રાતનાં બે વાગ્યા. હું અને શર્મા બન્ને સજાગ હતાં. મને તરસ લાગી હતી.
ત્રણ વાગ્યા. મારી તરસ વધતી જતી હતી.
ફરી એક કલાક વીત્યો. ચાર વાગતા જ હવે મારી તરસ હદ વટાવી ગઇ.
ઘડિયાળમાં સાડા ચારનો ટકોરો પડ્યો. એક ખુરશીમાં લોહીથી ખરડાયેલી અને પેટમાં છરો ખૂંપેલી શર્માની લાશ પડી હતી.
બીજી તરફ હું…
One thought on “પૅથોલૉજી વિભાગમાંથી લોહીનાં સત્તર સૅમ્પલ ગાયબ થયા હતા”
સસ્પેસ…આહા..👍👍 ખૂબ અભિનંદન ડૉ. નિલયભાઈ